ડાકોર મંદિર ‘જય રણછોડ માખણચોર’નો નાદ ગુંજી ઊઠ્યો, રાત્રે કાન્હાને સોના-ચાંદીના પારણામાં ઝુલાવાશે

By: nationgujarat
07 Sep, 2023

કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવી ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થઈ‌ ચૂક્યો છે. કૃષ્ણજન્મને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રણછોડરાયજીના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે. મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. આજે ભક્તોએ ભગવાનના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે.

આખા મંદિરને આસોપાલવનાં તોરણથી શણગારાયું
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમી પર્વના રંગમાં રંગાયું છે. વહેલી સવારની મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઊમટી પડયા હતા અને ‘જય રણછોડ માખણચોર’, ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’ ના નારા સાથે મંગળા આરતીની શુભ શરૂઆત કરવામાં આવી હતી. કૃષ્ણ(લલ્લા)નો જન્મદિવસનાં વધામણાં ભાવિક ભક્તો અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ તેમજ દેશ પરદેશથી આજે ઊમટી પડ્યા છે. આખા મંદિરને આસોપાલવનાં તોરણોથી સજાવાયું છે.

પારણે ઝુલાવી ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે
આજે વિવિધ ભજન મંડળીઓ કૃષ્ણનાં ભજનોની રમઝટ બોલાવશે. ઉપરાંત ભગવાનને વિવિધ શણગારથી સજાવવામાં આવ્યા છે અને મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. પારણે ઝુલાવી ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે. આજે દિવસ દરમિયાન ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેશે. આમ, સમગ્ર ડાકોર આજે કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગયેલું નજરે પડે છે.

ઠાકોરજીના મસ્તક પર સવા લાખનો મુકુટ, આયુધો સમેત શૃંગાર થશે
રાતે 12 વાગે પ્રાગટ્ય સમયે શ્રીજી મહારાજને જન્મ સમયના પંચામૃત થાય છે અને પછી વિશેષ લાલ ચૂંદડીનાં વસ્ત્રો ધરાવાય છે. ઠાકોરજીના મસ્તક પર સવા લાખનો મોટો મુકુટ તેમજ આયુધો સમેત ભારે શૃંગાર થઈ ઉત્સવની તિલક-આરતી થાય છે. આ પછી લગભગ મધ્ય રાતે 2 વાગે શ્રી ગોપાલાજી સોનાના પારણામાં ઝૂલે છે. પારણામાંથી નિજમંદિર પધાર્યા બાદ શ્રીજી મહારાજને ઉત્સવનો મહાભોગ આવે ધરાવાય છે.


Related Posts

Load more